સ્વતંત્ર ભારત – (ગુજરાતી બુક)
ગાંધીજી આજે હોત તો કેવો યુ ટર્ન લેત ?
ગાંધીજીએ તો કહેલું
કે દેશના માણસનું સ્વરાજ એટલે દેશનો કોઈપણ નાગરિક કોઈના દયાદાન પર જીવે નહીં, કોઈની
સેવા લેવાનો તેને વખત આવે નહીં. આપણા બંધારણમાં પણ લખ્યું છે કે પ્રત્યેક માણસને
કમ સે કમ પાયાનાં સુખો પ્રાપ્ત કરવાનો હક અને તક મળવા જોઈએ. રહેવા માટે નાનકડું
ઘર, કપડાં, સ્વાસ્થ્યપ્રદ ભોજન, પોતાનું સ્વાતંત્ર્ય તથા માણસમાણસ વચ્ચેની પોતાની
ભૂમિકા સમજી શકે તેટલું શિક્ષણ મળવું જોઈએ. પૂરતી આરોગ્યસેવા, જીવનનિર્વાહના સાધનો
વગેરે તમામ જરૂરી સુવિધાઓ માણસમાત્રને સહેલાઈથી પ્રાપ્ત થવા જોઈએ. લોકશાહીમાં એટલો
તેનો અધિકાર હોય છે.
ગાંધીજીએ ‘હિન્દ સ્વરાજ’ લખ્યું તે પછીના
વર્ષોમાં આખું જગત બદલાઈ ગયું છે. ગાંધીજી તો સદા વિકસતા મહામાનવ હતા. આજે ગાંધીજી
હોત તો તેઓ કેવો યુ ટર્ન લેત અને ‘હિંદ સ્વરાજ’ને સ્થાને કેવું ‘સ્વતંત્ર ભારત’
લખતે તે વાત નાનુભાઈ નાયકે શાસનવ્યવસ્થા બદલવાના છ પુસ્તકોમાંના આ એક ‘સ્વતંત્ર
ભારત’માં ચર્ચી છે. લેખકે ‘હિંદ સ્વરાજ’ની જેમ જ ગાંધીજી અને હરીલાલ સાથે પોતાના
સંવાદરૂપે મૂકીને લગભગ ૩૦૦ પાનાનું આ ‘સ્વતંત્ર ભારત’ પુસ્તક લખ્યું છે.
આ બધી વાતોનો સમન્વય સાધીને લેખકે આ
પુસ્તકમાં શા માટે શાસનવ્યવસ્થાની સિસ્ટમ સાવ નકામી થઈ ગઈ છે અને દલિતો તથા
દરિદ્રનારાયણોના સુખ માટે ગાંધીવિચાર સાથે
જોડીને પક્ષરહિત સમાજવ્યવસ્થા જ શ્રેષ્ઠ ઉપાય છે તે સમજાવ્યું છે.
ગુજરાતના જાણીતા નાટ્યલેખક, સાહિત્યકાર
પ્રોફેસર જ્યોતિ વૈદ્યે આ પુસ્તકને સાંપ્રત પરિસ્થિતિના ઇન્સાઈક્લોપિડીયા જેવું
કહ્યું છે.