બાપુ !
ત્યારે તમે યાદ આવ્યા !
ગાંધીજીએ કહેલું કે દલિતો અને
દરિદ્રનારાયણોનું સુખ એ જ મારું સત્ય છે અને એ જ મારો ઈશ્વર છે. એને માટે હું મારો
જીવ આપી દઈશ અને દલિતો અને દરિદ્રનારાયણોના સુખની વ્યવસ્થા માટે હું જન્મોજન્મ
મથતો રહીશ.
સ્વરાજ આવ્યું ત્યારે સરદારે કહેલું કે
મારી એક જ ઇચ્છા છે કે હવે ભારતનો એક પણ માણસ ભૂખે નહીં સૂએ.
આઝાદીના
૬૫ વરસ પછી પણ ગાંધીજી કે સરદારના એક પણ સપનાં પૂરાં થયાં નથી. અને ગાંધી
અટકનો ગેરલાભ લઈને છેલ્લાં ૪૦ વરસથી વખતોવખત એક જ ગાંધી કુટુંબના કોઈ પણ એક જ
સભ્યે આખા દેશનો વહીવટ પોતાને મનફાવે તે રીતે ચલાવીને દેશના દલિતો અને
દરિદ્રનારાયણોની અવદશા કરી છે. લેખકે પ્રતીકરૂપે માત્ર સૂરત શહેરના જ દલિતો અને
દરિદ્રનારાયણોની દયાજનક હાલત અને વેદનાની વાત લખી છે. હકીકતે એ જ વાત આખા દેશના
દલિતો અને દરિદ્રનારાયણોની છે.
લોકોના શ્રમના કરવેરારૂપે ઉઘરાવેલા અબજો
રૂપિયા પોતાના પ્રચાર પાછળ ખર્ચીને રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવાની ૨૦૦૮થી ચાલી
આવેલી અત્યંત ગંદી ઝૂંબેશને ચુપચાપ જોઈ રહેલા દેશના મહાનુભાવોને જોઈને લેખક અત્યંત
વેદના અનુભવે છે. એટલે લેખકે ગાંધીજીને આર્જવભરી વિનંતી કરી છે કે અમે તો સાવ
નિર્બળ અને નપુંસક થઈને બેઠા છીએ. હવે તમે જ ફરી પ્રગટીને અમારામાં પ્રાણ પૂરો.